અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને એક પતિએ જીવન ટૂંકાવ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. મૃતકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો તે પહેલા વીડિયો બનાવીને પત્નીના ત્રાસ અને આર્થિક છેતરપિંડી મામલે જણાવ્યું હતું. આ ઉપરાંત, મૃતકે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. સમગ્ર મામલે રાણીપ પોલીસે વીડિયો અને સુસાઇડ નોટના આધારે આરોપી પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, ગત 22 માર્ચ, 2026ના રોજ રાણીપ વિસ્તારમાં દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્ની ભગવતીના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા દશરથે 6.51 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ વિશે જણાવે છે. પતિએ આપઘાત કરી લેતા પત્ની ફરાર થઈ ગઈ હતી. જો કે, પોલીસે તેને ઝડપી પાડી હતી.
મૃતક દશરથભાઈએ મોતને ભેટતા પહેલા એક ચોંકાવનારો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેમણે પોતાની પત્ની ભગવતીના ત્રાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભગવતી તેમને વારંવાર પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી દબાવતી હતી. આ ઉપરાંત, વિડીયોમાં તેમણે ભગવતી, લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા જેવા લોકોના નામ આપીને તેમને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા.
મૃતકના ભાઈ દેવશીભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, દશરથભાઈએ અત્યાર સુધી જે કંઈ પણ કમાણી કરી હતી તે તમામ પત્ની ભગવતીએ પડાવી લીધી હતી. એટલું જ નહીં, ભગવતીના અન્ય પુરુષો સાથે આડા સંબંધો હોવાથી દશરથભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
પરિવારજનોની માંગ છે કે માત્ર ભગવતી જ નહીં, પરંતુ વિડીયોમાં જે અન્ય લોકોના નામ લેવામાં આવ્યા છે તેમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. હાલમાં રાણીપ પોલીસે ભગવતીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ અને કેસની વધુ તપાસ તેજ કરી છે.


