અમદાવાદ : અમદાવાદમાં રિક્ષાચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. વિગતો મુજવ પહેલી જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ દંડ ભરવો પડશે.પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે. નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.
આ સિવાય પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલક મીટર વિના રિક્ષા લઈને ધંધો કરવા નીકળશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ, જો રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડાં સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રિક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.


