અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક નિયમન બાબતે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવુ હવે ભારે પડશે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે મહત્વનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.દુબઇની જેમ AI આધારિત ડેશકેમ દ્વારા અમદાવાદમાં પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ચલણ આપવામાં આવશે. ગાડીમાં લાગેલા કેમેરામાં નિયમો ભંગ કરનાર કેદ થશે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે અમદાવાદમાં આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકના હસ્તે AI આધારિત ડેશકેમ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અંતર્ગત ઈન્ટરસેપ્ટર વાહનોમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. મોબાઈલ કેમેરામાં ટ્રાફિક નિયમન ભંગ બદલ તે વિડ્યો કેપ્ચર થયા બાદ કંટ્રોલ રૂમ મેમો જનરેટ કરશે.રોંગસાઇડ, હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અમદાવાદમાં AI ડેશકેમ દ્વારા ચલણ આપવામાં આવશે. વાહનમાં લાગેલા કેમેરામાં કેદ થનાર ચાલકોને ચલણ આપવામાં આવશે. અત્યાર સુધી 29 ગાડીમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે. 31 કેમેરા ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા છે.
AI ડેશકેમ વાયોલેશનને શોધી કાઢ છે અને પુરાવા આપોઆપ રેકોર્ડ કરે છે.AI ડેશકેમ ટ્રાફિક ફ્લોનું રીયલ ટાઇમ મોનીટરિંગ કરવા ટ્રાફિક અધિકારીઓને ટ્રાફિકની વાસ્તવિક સ્થિતિ ઉપર દેખરેખ રાખવા તેમજ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારાઓનું દસ્તાવેજીકરણ પણ કરે છે.
અમદાવાદ શહેરમાં વાહનોમાં વધારો થવાની સાથે સાથે અકસ્માતમાં પણ વધારો થયો છે. અમદાવાદ પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે તેમ છતાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દુબઇની જેમ જ AI ડેશકેમથી ચલણ સિસ્ટમ અપનાવવામાં આવી છે.


