અમદાવાદ : અમદાવાદ પોલીસ દ્વારા ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષાચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષાચાલકોએ મીટર નહીં લગાવ્યું હોત તો પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાતના મામલે વિવાદ સામે આવ્યો છે. રિક્ષાચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોની હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ન લગાવનાર સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ન કરવા અને દંડને રદ્દ કરવાની માંગ સાથે રિટ દાખલ કરવામાં આવી છે. રિટ દાખલ કરતા અરજદારે કહ્યું કે, માત્ર ઓટો રિક્ષામાં જ ફલેગ મીટર લગાવવાનો કાયદો એ ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આર્ટિકલ 14નો ભંગ છે.
હવેથી રિક્ષામાં મીટર ફરજિયાત !!
1 જાન્યુઆરી 2025થી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને અપાશે દંડ, મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરાવવી બનશે ફરજિયાત.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @PoliceAhmedabad #AhmedabadPolice pic.twitter.com/O4eDJmYptT
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 27, 2024
વધુમાં અરજદારે કહ્યું કે, કાયદા મુજબ દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઈએ. માત્ર ઓટો રિક્ષા ચાલકો માટે જ ફરજિયાત મીટરએ ભેદભાવવાળી નીતિ છે. ઓલા, ઉબેર અને રેપિડો સહિતની કંપનીઓના વાહનોમાં મીટરનો ઉપયોગ થતો નથી જે પણ કાયદાનું ઉલ્લંઘન છે. જેથી આ રિક્ષાચાલકોએ મીટર મામલે વિરોધ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જોવાનું એ હવે આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે?
પોલીસ કમિશનર અમદાવાદ અને કાલુપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર દ્વારા આપવામાં આવેલા કચેરી હુકમ કે જેમાં તા.1/1/2025થી ઓટો રિક્ષામાં ફલેગ મીટર લગાવવાનું ફરજિયાત હોય તેમજ ફલેગ મીટર ન લગાવેલ કે બગડેલ હોય તો ઓટો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા બાબતે પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. એ પરત્વે પોલીસને કોઈ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી ન કરવા અને આ પ્રકારના દંડને રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ છે.


