અમદાવાદ : 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાજથી બંદોબસ્તમાં ગોઠવાશે. શહેરના સીજી રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાંજે 6 વાગ્યાથી શહેર પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ શી ટીમ તથા મહિલા પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-CG રોડ પર વાહનોની અવર જવર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 31મી ડિસેમ્બરના સાંજના 8 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી સિંધુભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી બંને તરફનો માર્ગ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.
ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્મેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદીર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ વાહનો અવરજવર કરી શકશે. ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર જવર કરી શક્શે. આ ઉપરાંત ખાસ જાણકારી એ પણ છે કે, આ જાહેરનામાથી સમગ્ર શહેરમાં સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી મધ્યમ અને ભારે માલવાહક વાહનો તથા પેસેન્જર વાહનો રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં અવર જવર કરી શક્શે નહીં. જે પૈકી પેસેન્જર વાહનો સિવાયના તમામ વાહનો એસજી હાઈવે પર 31મીની રાત્રે 8થી 1ની રાત્રીના 3 વાગ્યા સુધી અવર જવર કરી શક્શે નહીં.
પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી સર્વિસ રોડ પર 31મીએ 7 વાગ્યાથી 1લીના રાતના 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પણ પ્રતિબંધ છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પર પણ આ સમય દરમિયાન પ્રતિંબધ રહેશે.
રાત્રી દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા જોખમી રીતે વાહન ચલાવી સ્ટંટ કરતા હોવાના બનાવો ન બને તે અંગે રોડ ઉપર વધુમાં વધુ પોલીસની હાજરી રાખી બેરિકેડિંગ રાખવામાં આવશે.અમદાવાદ શહેરમાં ન્યૂ યરની પાર્ટીમાં અશ્લીલતા અને મહિલાઓ સાથે અયોગ્ય વર્તન ન થાય તે માટે આયોજકોની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી છે.


