અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં કરી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અમિત શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનવાનાં છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અદ્યતન પોલીસ લાઈનમાં પોલીસકર્મીઓના પરિવારને 930 કાર માટેનું બેઝમેંટ પાર્કિંગ, 2 લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર રૂફટોપ, ઇલેક્ટ્રિસિટી બેકઅપ સહિતની ઉત્તમ અને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈનનું નિર્માણ અમદાવાદમાં થશે. ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર રહેતા કર્મનિષ્ઠ પોલીસકર્મીઓના પરિવારોને માટે 2-BHK (55 ચો.મી.) આવાસ ઉપલબ્ધ થશે.
જીવન-જરૂરી સામાન ઘર આંગણે જ મળી રહે તે માટે ટાવરમાં 10 દુકાનો પણ બાંધવામાં આવશે. જ્યાં રોજબરોજની ચીજવસ્તુઓ જેમકે, શાકભાજી, દૂધ તથા તેની બનાવટની અન્ય સામગ્રીઓ, હેર-સલૂન, એ.ટી.એમ., અનાજ દળવાની ઘંટી તથા પોલીસ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અહીં CPC કેન્ટિન પણ તૈયાર કરવાનું આયોજન છે. 13 માળના 18 ટાવરમાં પ્રાથમિક સુવિધાઓ જેમકે, રસોડું, એક અટેચ અને એક કોમન ટોઇલેટ તથા અન્ય સુવિધાઓ સાથે ફર્નિશ્ડ આવાસ આપવામાં આવશે.