અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા છેલ્લા 49 વર્ષથી સતત અને સુંદર શિક્ષણ આપતી સંસ્થા તરીકે નવા વાડજ વિસ્તારની અગ્રગણ્ય શાળા છે.પ્રાથમિક વિભાગ ચલાવતી અક્ષર પ્રાથમિક શાળા અભ્યાસની સાથે નવીનતામ ઈતરપ્રવૃત્તિ માટે પણ જાણીતી છે.
ભારતીય ટીવી વર્લ્ડના સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની થીમ ઉપર એક સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ સ્વરૂપ શાળામાં ‘કૌન બનેગા અક્ષરપતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા જીણામાં જીણી બાબતોને અભિવ્યક્તિમાં વણી લઈને એવું આયોજન કરે છે કે તેમાં બાળકોથી લઈને માતા-પિતાને પણ જોડાવાનો ઉત્સાહ જાગે છે.પછી એ “કૌન બનેગા અક્ષરપતિ” નો સેટ હોય, મ્યુઝિક હોય, હોસ્ટિંગ હોય કે પછી વિવિધ રાઉન્ડ હોય ;દરેક બાળક તેમાં સહભાગી બને છે અને આખો દોઢ કલાકનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે બાળકોને એમ થાય કે હજુ વધારે હોત તો કેવું સારુ!!!
કાર્યક્રમને રૂપરેખા આપનાર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી માનવભાઈ કહે છે કે અક્ષરમાં જનરલ નોલેજ એક વિષય તરીકે તો ભણાવાય જ છે, કે જેથી બાળકો ભવિષ્યમાં GPSC અને UPSC જેવી પરીક્ષાઓ માટે અત્યારથી કેળવાય પરંતુ અંતે તો તે પુસ્તકિયું જ્ઞાન થઇ જાય છે. જેથી બાળકોને રસ પડે એવો માર્ગ શોધવામાં ‘KBC’ એ ખાસી મદદ કરી. એવું જ ‘KBC’ જો શાળામાં રમાય તો બાળકો એમાં જોડાઈને જનરલ નોલેજના ખજાનાને સમૃદ્ધ કરી શકે. માટે KBC જેવું સેટઅપ, મ્યુઝિક, અને દરેક રાઉન્ડમાં જેમ જેમ બાળક જીતે એને નાની નાની કેશ રકમ મળતી જાય.છેલ્લા રાઉન્ડના અંતે જો બધા સાચા જવાબ હોય તો બાળક 85/- રુપિયા અને એક પેન જીતીને ઘરે જાય. દરેક ધોરણમાંથી 6 થી 7 વિદ્યાર્થી ડ્રો સિસ્ટમથી હોટ સીટ પર આવે અને કોઈ સવાલનો જવાબ ના આવડે તો લાઈફલાઈન તો ખરી જ.
માનવભાઈ જોષીના કહેવા મુજબ દરેક શાળાએ આવું આયોજન કરવું જોઈએ અને બાળકમાં સામાન્ય જ્ઞાનના બીજ રોપવા જોઈએ, શું ખબર એમાંથી જ કોઈ વીરલાઓ ભવિષ્યમાં ‘KBC’ માં પહોંચી પોતાના ભાવિને આર્થિક સવલત પૂરી પાડી શકે.


