અમદાવાદ : અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કંપનીમાં પેમેન્ટ ફસાતા અને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી કોન્ટ્રાક્ટર વેપારીએ સુસાઈડ કરી લેતા ચકચાર મચી છે. કોન્ટ્રાક્ટરે લખેલી સુસાઈડ નોટ મળી આવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાસણા વિસ્તારમાં આવેલા ભાલેશ્વર સોસાયટીમાં રહેતા જીગ્નેશ મકવાણાએ વાસણા પોલીસ સ્ટેશનમાં કિશોર, શ્યામલાલ મિત્તલ, હિમાંશુ મત્તલ અને ધવલસિંહ જાદવ વિરૂદ્ધ વ્યાજખોરી, આત્મહત્યાની દુષપ્રેરણા તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. જીગ્નેશ માતા, પિતા, પત્નિ બાળકો તેમજ ભાઇ સાથે રહે છે અને શક્તિ એન્ટરપ્રાઇઝ નામથી સિવિલ કોન્ટ્રક્ટના કામ કરીને ગુજરાન ચલાવે છે. જીગ્નેશ જ્યા પણ કોન્ટ્રાક્ટ રાખે ત્યા તે સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. જીગ્નેશના પિતા જીતુભાઇ છેલ્લા 35 વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. જીતુભાઈએ અપૂર્વા કિર્તી ઈન્ફ્રાસ્ટકચર પ્રાઈવેટ લિમિટેડ પાસેથી સાણંદના વિરોચન નગર રેલવે સ્ટેશન પર બિલ્ડીંગ, ક્વાટર બનાવવા સહિતનું કામ રાખ્યું હતું.
જીતુભાઈએ એગ્રીમેન્ટ મુજબ કન્સ્ટ્રક્શનનું કામ કર્યા બાદ અલગ અલગ રકમના કુલ 1.31 કરોડના 6 બીલ કંપનીને આપ્યા હતા. જેમાં કંપનીએ કાચામાલ તરીકે આપેલા લોખંડના સળીયા, સિમેન્ટ, ક્રોંકરિટ સહિતના માલના કુલ 54.64 લાખ રૂપિયા કાપીને બીજા 57.82 લાખ રૂપિયા જીતુભાઈના ખાતામાં નાખ્યા હતા.જો કે જીતુભાઈએ કરેલા કામના કુલ રૂપિયા 62 લાખ 45 હજાર લેવાના નીકળતા હતા.
જે અનેક વખત માગણી કરવા છતાં ચુકવવામાં આવ્યા ના હતા. જ્યારે તેમણે ખોરજના ધવલસિંહ જાદવ પાસેથી રૂપિયા 6 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતા. ધવલસિંહ પણ જીતુભાઈ પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેથી તેમણે કંટાળીને 26મી ડિસેમ્બરના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જીતુભાઈએ આપઘાત કરવા પાછળનું કારણ કોમ્પ્યુટરમાં ઈંગ્લિશમાં લખ્યું છે તેમાં તેમની સહી નથી.ત્યારે આ નોટને સુસાઈડ નોટ ગણવી કે કેમ તે બાબતે લીગલ અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે.
જો કે પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું છે કે અગાઉ પણ મૃતક જીતુભાઈએ 12 ઓક્ટોબર 2023ના દિવસે ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે તેમના પુત્ર જીગ્નેશ મકવાણાએ વાસણા પોલીસને જાણ કરતાં વાસણા પોલીસે કિશોર પપ્પુ અપુર્વા કિર્તી ઈન્ફ્રા સ્ટક્ચર પ્રા.લીના પ્રોજેક્ટ મેનેજર, શ્યામલાલ મિત્તલ એમડી, હિમાંશુ મિત્તલ કો ઓર્ડીનેટર અને ધવલસિંહ જાદવ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


