અમદાવાદ : કોતરપુર વોટર વર્કસમાં આવેલા પંપ હાઉસમાં થયેલા લીકેજને રિપેરિંગ કરવાનું હોવાથી પશ્ચિમ વિસ્તારના વાસણા, પાલડી, એલિસબ્રિજ, નવા વાડજ, વાડજ, નવરંગપુરા, આશ્રમરોડ જ્યારે પૂર્વ વિસ્તારમાં હાંસોલ, દૂધેશ્વર, ભીલવાસ, અસારવા, શાહીબાગ, ખાડિયા, જમાલપુર, શાહપુરના વિસ્તારોમાં આવતીકાલે (4 ફેબ્રુઆરી)ના રોજ સાંજનો પાણીનો સપ્લાય આપી શકાશે નહીં. તેમજ બીજા દિવસે 5 ફેબ્રુઆરીના રોજ સવારનો સપ્લાય પાણીના ઉપલબ્ધ જથ્થાની મર્યાદામાં આપવામાં આવશે. મોટેરા, ચાંદખેડા અને રાણીપ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પૂરું પાડવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોતરપુર વોટર વર્કસમાં આવેલા પંપ હાઉસમાં થયેલા લીકેજને રિપેરિંગને લઈને વેસ્ટર્ન ટ્રન્ક મેઇનમાં શટ ડાઉન કરવાની જરૂરિયાત હોવાના કારણે 4 ફેબ્રુઆરીના રોજ આ કામગીરી કરવામાં આવશે. જેથી પશ્વિમ ઝોનના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન (મોટેરા ચાંદખેડા અને રાણીપ વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સિવાય) તથા મધ્યઝોનના સેન્ટ્રલ ટ્રન્કમેઈન્સ આધારીત (દુધેશ્વર વોટર વર્કસ સહિત) તથા ઉત્તરઝોનના સરદારનગર વોર્ડમાં આવેલા હાંસોલ, ભીલવાસ અને ઈસ્કોનવીલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનો પુરવઠો બંધ રહેશે.


