અમદાવાદ : અમદાવાદના કાંકરિયામાં આવેલી બાળવાટિકાના નામકરણને લઈને વિવાદ સર્જાયો છે. કાંકરિયા બાળવાટિકાનું નામ બદલીને ‘ફન કાર્નિવલ’ રાખવામાં આવતા વિરોધ શરૂ થયો છે. આ પહેલા આ બાળવાટિકા ‘ચાચા નહેરુ બાળવાટિકા’ નામે ઓળખાતી હતી.નાના બાળકોથી લઇ સૌ કોઇ માટે કાંકરિયા ખાતે આવેલું બાલવાટિકા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
કાંકરિયા પરિસરમાં નવીનીકરણમાં નામકરણ મામલે વિવાદ વચ્ચે બાલ વાટિકાના નવીનીકરણ બાદ ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. તમને જણાવી દઈએ કે જુના ગેટ ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું. પરંતુ નવીનીકરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવાયું છે.હવે ચાચા નહેરુનું નામ હટાવીને બાલવાટિકા ફન કાર્નિવલ નામ કરવામાં આવતાં આગામી દિવસોમાં મોટો વિવાદ થઈ શકે છે.
દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને બાળકો અત્યંત પ્રિય હતા અને બાળકો તેમને ચાચા નહેરુ તરીકે સંબોધતા હતા. કાંકરિયા પરિસરમાં બાળકોના મનોરંજન માટેના સ્થળને ચાચા નહેરુ બાલવાટિકા નામ આપવામાં આવ્યું હતું.
કૉંગ્રેસે સત્તાના નશામાં ભાજપ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મ્યુનિસિપલ સામાન્ય સભામાં પણ વિપક્ષે મામલો ઉઠાવ્યો હતો. પરંતુ તેમ છતાં નવું નામ બદલી અગાઉ મુજબનું જ કરવા કોંગ્રેસ હાલ માંગણી કરી રહ્યું છે. ભાજપે કહ્યું કે, ચાચા નહેરુ નામ રાખવા કોઈ ઠરાવ થયેલો ન હતો. નવીનીકરણ થઇ રહ્યું છે એટલે નવું નામ જ રહેશે.