અમદાવાદ : 26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનો મહાપર્વ છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા.આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભવ્ય નગરયાત્રામાં માતાજીનો રથ, હાથી અખાડના કલાકારો, ભજન મંડળીઓ સાથે નગરયાત્રા વહેલી સવારથી નીકળી હતી.રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા.
અમદાવાદમાં આજે રથયાત્રા જેવો જ એક મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા છે. આજના દિવસે 614 વર્ષ બાદ નગરદેવી નગરચર્યાએ નીકળ્યા છે. આ યાત્રામાં પરંપરાગત સંગીત અને નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે.આ એક ઐતિહાસિક ઘટના છે.આ નગરદેવીની નગરચર્યાને લઈને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નગરદેવીની નગરચર્યા દરમિયાન અમદાવાદના મુખ્ય માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
સાબરમતી રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર ખાતે 30 મિનિટ રથે વિરામ લીધો, નગરયાત્રામાં જોડાયેલા અખાડા, ડીજે, ધજા પતાકા અને વાહનો ભદ્ર મંદિર પરિસર ખાતે પરત પહોંચી ગયા છે.ભદ્ર વસંત ચોક ખાતે મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા.યાત્રા લાલ દરવાજા થઈ ભદ્ર મંદિર પરત ફરી. મહત્વનું છે કે, નગરદેવીની નગરચર્યાનું આયોજન સ્થાનિક સમુદાય અને મંદીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.