અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એકવાર નબીરાઓ બેફામ બન્યા છે. જજીસ બંગલો ચાર રસ્તા પાસે મર્સિડિઝ કારે 62 વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને 15 ફૂટ સુધી ઢસડી અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાના વાયરલ CCTVના આધારે પોલીસે નબીરાઓની શોધખોળ આદરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ જજીસ બંગલો ચાર રસ્તા પાસે બેફામ ઝડપે આવેલ મર્સિડીઝ કારે કશ્મીરા ઠાકર નામની મહિલાને અડફેટે લીધી હતી. રસ્તે ઓળંગતી મહિલાને કાર ચાલકે 15 ફૂટ સુધી ઢસડી હતી. ખૂબ જ ખરાબ રીતે કાર ચલાવતા નબીરાઓએ અકસ્માત સર્જી પકડાવવાના ડરે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મહિલા ઈજાગ્રસ્ત થતાં નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં નબીરાએ સર્જેલ અકસ્માતનાં હચમચાવી દેતા CCTV વાયરલ થયા છે. કશ્મીરા ઠાકર નામની મહિલાને મર્સિડીઝ કારે અડફેટે લીધા હતા, મહિલાને સોલા સિવિલ બાદમાં SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂટેજને આધારે પોલીસે નબીરાની શોધખોળ કરવા કવાયત આદરી છે.