અમદાવાદ : અસામાજિક તત્વોના આતંકથી ગુજરાતની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. શહેરમાં ભય ફેલાવનાર લુખ્ખાગીરી કરનાર વ્યક્તિ વિશે જાણકારી આપવા માટે આ નંબર જાહેર કરાયો છે. 6359625365 નંબર પર અસમાજિક તત્વોની વિરૂદ્ધ ફરિયાદ આપી શકાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસે શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 1100થી વધુ ગુંડાઓની યાદી તૈયાર કરી લીધી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લિસ્ટ બનાવવાની મૌખિક જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે.500 કરતા વધુ શરીર સંબંધી ગુનેગારો અને 400 કરતા વધુ પ્રોહીબિશનના લિસ્ટેડ બુટલેગરોના નામની યાદી તૈયાર કરી દેવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. 1100 કરતા વધુ આરોપીઓ વિરૂદ્ધ શહેર પોલીસ કડક હાથે કામગીરી કરશે.
આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસે આવા તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નાગરિકો માટે એક નંબર જાહેર કર્યો છે. અસામાજિક તત્વોની માહિતી સહિત ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિની માહિતી આ વોટ્સએપ નંબર પર આપી શકાશે. 6359625365 વોટ્સએપ નંબર પર ફોટો વીડિયો સહિતની માહિતી આપી શકાશે. તેમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 17, 2025
અસામાજિક તત્વો સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આવા વીડિયો અનેક રાજ્યમાં હશે પણ એક્શન લેનાર ગુજરાત એકમાત્ર હશે. કલાકોની અંદર ગુનેગારોને પકડવા ટીમની રચના કરવામાં આવી હતી. આવા ગુનેગારને રોકવા માટે પ્રિવેન્શન એક્શન લેવાયા છે. આ ગુનેગારને ત્રણ વાર પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. તેમને કાયદાની આંટીઘૂંટીથી જામીન મેળવવામાં સફળતા મળી છે. હજુ વધુ કડક પગલાં આવા લોકો સામે ભરવામાં આવશે. કાયદાના કામ પર કોઇ નિવેદન આપવું યોગ્ય નથી. પ્રિવેન્શન એક્શન સંપૂર્ણ રીતે મજબૂતાઇથી ગંભીરતાપૂર્વક કરવામાં આવશે. એક કરતાં વધારે એજન્સીઓ આ માટે કામ કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, પોલીસના જવાનોનો સંપર્ક જણાશે તો તેને નોકરીથી હાથ ધોવા પડશે. પોલીસ આવા ગુનેગારને પાસામાં મોકલવા યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ તેની તપાસ થશે. ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં ગુજરાત પોલીસ તેમને સમજાવે તે સુચના છે. ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો સામે કાર્યવાહી કરાશે. જે તે વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તેની જવાબદારી લોકલ પોલીસ સ્ટેશનની છે. જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા આવા ગુના થાય તો લોકલ પોલીસ સ્ટેશનની જવાબદારી રહેશે. જો પોલીસનો કોઇ કર્મચારી સંડોવાયેલા હશે તો તેની સામે કાર્યવાહી થશે.
રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.


