અમદાવાદ : ગુજરાત ST નિગમે ‘મન ફાવે ત્યાં ફરો’ નામની યોજના આગામી ઉનાળુ વેકેશનને જોતા શરૂ કરી છે. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિ માત્ર 450થી લઈ 1450 રૂપિયા સુધીમાં 4 દિવસથી લઈ 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સલામત સવારીની સાથોસાથ વિશેષ સુવિધા મેળવી શકે છે.
ગુજરાત ST નિગમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત 1450માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાત ભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે તેમજ 850 રૂપિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે. સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો રૂપિયા 450 સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે. જેમાં લોકલ, એક્સપ્રેસ, ગુર્જનગરી, લકઝરી, સ્લીપર કોચ, એ.સી. કોચ, વોલ્વો સહિતના સર્વિસના પ્રકાર રાખવામાં આવ્યા છે. આમ સર્વિસના પ્રકાર મુજબ મુસાફરો પાસેથી ભાડાની રકમ લેવામાં આવશે. આ યોજનાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ખુબ ફાયદો થશે
તમને જણાવી દઈએ કે મુસાફરો અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી ST બસમાં ફરી શક્શે. આ યોજના ગુજરાતના તમામ ST ડેપો સહિત ST નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે.STની નોન AC સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે. આ યોજનાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થશે. તેમજ લોકોને સસ્તી મુસાફરી કરવાનો લાભ પણ મળશે. ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજનાને કેવો પ્રતિસાદ આપે છે તે મહત્વનું બની રહેશે…


