અમદાવાદ : અમદાવાદમાં રમાનાર IPL મેચ દરમિયાન GMRCનો મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રિકેટ રસિકોને મોટેરા સુધી જવા અને પરત આવવામાં સરળતા રહે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. GMRCએ મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6:20 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, GMRCએ IPL નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25/03/2025, 29/03/2025, 09/04/2025, 02/05/2025 અને 14/05/2025 ના રોજ યોજાનારી આગામી IPL-2025 ની ડે-નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6:20 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.
આ ઉપરાંત, GMRCએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે ઉપર દર્શાવેલ IPL મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે.
સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.
1. સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ 50 રૂપિયા રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બંને લાઇન પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી માટે થઈ શકશે.
2. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
3. રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે.
4. સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે. જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.
5. જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે.
6. ઉપર જણાવેલ તારીખો દરમ્યાન અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી દર 06 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે.
7. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય મધ્યરાત્રિના 12:30 વાગ્યાનો રહેશે.