અમદાવાદ : શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ખરીદી માટે જાણીતા માણેકચોક બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે લગભગ ચાર વાગ્યા આસપાસ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને જ્યારે ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ દ્વારા ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સવારે 4:00 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, માણેકચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. માણેકચોક પી એ સાબુવાલાની દુકાનમાં આગ લાગી હતી. જ્યારે આગ બાજુની દુકાનમાં પણ પ્રસરી હતી. જ્યારે બન્ને દુકાનોમાં આગને કારણે અંદાજે 15 લાખનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.
આગ લાગતાની સાથે સ્થાનિક ત્યાંના વેપારીઓ પણ ભેગા થઈ ગયા હતા.વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.પી એ સાબુવાલા અને અન્ય એક એમ મળી બે દુકાનમાં આગ લાગી હતી. બંને દુકાનોમાં માલ સામાન હતો તેમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.