અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી છે, આર્થિક સંકળામણના કારણે કંટાળીને સામૂહિક આપઘાત કરવા નીકળેલા પરિવારને શોધી આત્મહત્યા કરતા પહેલા બચાવી લેવામાં આવ્યો છે. પિતાએ પોલીસને જાણ કરતાં લોકેશનના આધારે પરિવાર સુધી પોલીસ પહોંચી હતી અને પરિવારના ચાર સભ્યોનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ (નામ બદલેલ છે) 25 માર્ચ 2025 ના રોજ ઇસનપુર ખાતે આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે તેઓનો દીકરો તેની પત્ની અને બે બાળકો સાથે પોતે આત્મહત્યા કરવા જાય છે તે પ્રકારની ચિઠ્ઠી લખીને ઘરેથી પરિવાર નીકળી ગયો હતો. જે રજૂઆતના આધારે ઇસનપુર પોલીસે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી હતી.
ઇસનપુર પીઆઇ બી.એસ જાડેજા અને પીએસઆઇ સહિતનો સ્ટાફ પરિવારની શોધખોળમાં લાગ્યો હતો. જે બાદ મોબાઇલ નંબરના લોકેશન મેળવી પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે રાકેશ (નામ બદલેલ છે) તથા તેની પત્નીએ પોતે મકાન રીપેરીંગ માટે લોન લીધી હતી અને જેના હપ્તા ચાલુ હોય અને પોતે લોનથી રીક્ષા લીધી હોય જેથી રીક્ષા ચલાવી પોતે લોનના હપ્તા ભરી શકતો ન હોય આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.
જેથી પોતાના પરિવાર સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા માટે નીકળી ગયો હતો, જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા નીકળેલા પરિવારને શોધીને ચાર વ્યક્તિના જીવ બચાવી લીધા હતા. જે બાદ જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાએ પોતે પરિવારજનોને પોલીસ સ્ટેશન ખાતે મળીને આત્મહત્યા ન કરવા અંગે સમજણ આપી હતી. અને તેઓના પરિવારજનોને બોલાવીને મિલન કરાવી પ્રજા પોલીસની મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું હતું.


