અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં PM આવાસના મકાન ફાળવવામાં કૌભાંડ સામે આવ્યું છે. નકલી એલોટમેન્ટ લેટરના આધારે 21 મકાનો ફાળવી દેવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. AMCના અધિકારીઓએ તપાસ કરતા લેટર નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. વિપુલ અને સૈયદ નામના આરોપીઓએ આ કૌભાંડ આચર્યુ હતું. જેમાં તેમણે 50-50 હજાર રૂપિયામાં 21 સભ્યોને નકલી પત્રો પધરાવી દીધા હતા. મકાન ફાળવવા માટે એજન્ટે બીજા 10-10 હજાર પડાવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતભાઇ ઠાકોરે સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની મુજબ મનપા દ્વારા ચાંદલોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1736 આવાસ પૈકી 1372 આવાસના પઝેશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે 364 આવાસની ફાળવણી બાકી છે.
આ બંને આરોપીઓએ 21 સભ્યો પાસેથી રૂ.50 હજાર લેખે રૂ.10.50 લાખ પડાવી લીધા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ. પરંતુ ભોગ બનનારા લોકોની સંખ્યા વધારે હોવાની આશંકા પોલીસે નકારી નથી.અગાઉ પણ ગરીબ આવાસ યોજનાઓમાં ઘર અપાવવાને નામે લોકો સાથે મોટાપાયે છેતરપિંડી થઈ ચૂકી છે. આ ઉપરાંત આવાસ યોજનામાં જે લોકોને ઘર લાગ્યા હોય છે તેઓ પણ 7 વર્ષના નિયમનો ભંગ કરી ભાડે ચઢાવી દેતા હોય છે.
નવાઈની વાત એ છે કે આરોપીઓએ મકાન નહોતા ફાળવ્યા તેના પણ પજેસન લેટર બનાવ્યા હતા. તે સિવાય મકાન લેનારને AMCની પાવતી પણ આપતા હતા. હાલમાં આરોપીઓ પાસે યાદી કેવી રીતે આવી તેની તપાસ થશે.


