અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી આગઝરતી ગરમીના કારણે શહેરમાં આગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. અને હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોમાં લાગતી આગના કારણે લોકોના જીવ તાળવે ચોંટી જાય છે અને આવી બિલ્ડિંગોમાંથી નાના બાળકોને બચાવવાના ભયાવહ દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આવી આગ અકસ્માતની ઘટનાઓને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા છે અને ફાયર NOC વગરની 10 જેટલી શાળાઓને નોટિસ ફટકારી છે. તેમજ આગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને શાળાઓને વાયરિંગ ચેક કરી લેવા, શાળાઓમાં ચાલતી લેબોરેટરીમાં પણ સલામતીના પગલાં લેવા આદેશ કર્યો છે.
ઉનાળાની ઋતુમાં સમગ્ર રાજ્યની સાથે અમદાવાદ જિલ્લામાં અત્યંત ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ સહિત વિવિધ કારણોસર આગ લાગવાના બનાવો બનવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી અગમચેતીના ભાગ રૂપે શાળાના તમામ વીજ ઉપકરણો તેમજ સંપૂર્ણ વાયરિંગની ચકાસણી કરી લેવા અને શોર્ટ સર્કિટનો કોઈ બનાવ ન બને તે માટે ચકાસણી કરી લેવા ડીઇઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શોર્ટ સર્કિટ અટકાવવા માટે યોગ્ય વિદ્યુત પ્રણાલીની જાળવણી, સર્કિટ બ્રેકર અને ફ્યુઝનો ઉપયોગ, સારું ઇન્સ્યુલેશન અને ઓવરલોડિંગ સર્કિટ વગેરે બાબતોએ ચકાસણી કરીને જો કોઈપણ પ્રકારની ખામી જણાય તો તાત્કાલિક યોગ્ય તે રિપેરિંગ કરાવી લેવા જણાવાયું છે. શાળામાં ફાયર સેફ્ટી સાધનો ચાલુ હાલતમાં હોય, તેમજ તેની એક્સપાયરી તારીખની પણ ખાસ ચકાસણી કરવા જણાવાયું છે. શાળાની કોઈપણ પ્રકારની બેદરકારીને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ બનશે તો નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેરમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી કૃપા ઝા દ્વારા તમામ શાળાઓનું વાયરિંગ ચકાસી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.