અમદાવાદ : ગુજરેરાએ નવા પ્રોજેકટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ બુકીંગ શરૂ કરી દેનારા બિલ્ડર સામે સુઓમોટો કાર્યવાહી શરૂ કરી હતી. રિપોર્ટ મુજબ, ગાંધીનગર ખાતેનાં એક પ્રોજેકટમાં બિલ્ડરે રેરા રજીસ્ટ્રેશન મેળવ્યા વિના જ બુકીંગ શરૂ કરીને ગ્રાહકો પાસેથી એક લાખ રૂપિયા ટોકન પેટે મેળવ્યા હોવાની ગુજરેરાને ફરીયાદ મળી હતી.
જોકે આ કેસમાં બિલ્ડરે ફરીયાદીને નાણાં પરત કરી દેતા તેની ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો.પરંતુ સમગ્ર પ્રકરણમાં સુઓમોટો કાર્યવાહી શરૂ કરી હતી. રેરા કાયદાની કલમ 3નો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ પ્રોજેકટનો પ્રચાર તથા બુકીંગ કરવા બદલ એકશન શરૂ કરાયા હતા.
બિલ્ડર સામે કલમ 59 હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુત્રોના કહેવા પ્રમાણે રજીસ્ટ્રેશન વિના જ બુકીંગ શરૂ કરી દેવાની પ્રવૃતિ વ્યાપક છે. તેના આધારે રેરાની ટીમો હવે ફીલ્ડમાં ઉતરશે.સામાન્ય લોકોની જેમ ઈન્કવાયરી કરીને ગેરરીતિ પકડશે. આ માટે દરેક ઝોનવાઈઝ ટીમ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન વિના જ બુકીંગ-પ્રચાર શરૂ કરી દેનારા બિલ્ડરો પર તવાઈ ઉતારવામાં આવશે.
રેરા કાયદામાં પ્રોજેકટનું રજીસ્ટ્રેશન કરાયા બાદ જ તેનો પ્રચાર શરૂ કરવાની જોગવાઈ છે.સંખ્યાબંધ કિસ્સામાં પ્રચાર સાહિત્યમાં રેરા રજીસ્ટ્રેશન નંબર દર્શાવાતો નથી તેનું રજીસ્ટ્રેશન થયુ ન હોવાની શંકા રહે છે.
ગુજરેરા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા અપનાવવા કટીબદ્ધ છે. ગ્રાહકોનું હિત સર્વોપરી છે. આ માટે હવે ઝોનવાઈઝ ટીમોની રચના કરીને પ્રોજેકટોની રૂબરૂ મુલાકાત સાથે નિયમભંગ કરનારા બિલ્ડરો સામે કાર્યવાહી કરવાનો એકશનપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજયનાં કોર્પોરેશન ધરાવતા શહેરોથી માંડીને નગરપાલિકા સ્તરના શહેરો સુધી આ કાર્યવાહી કરાશે.
કાયદા-નિયમોનો ભંગ કરવા બદલ બિલ્ડરો પર પ્રોજેકટ ખર્ચનાં 10 ટકાની પેનલ્ટીની જોગવાઈ છે. પ્રચાર સાહિત્યમાં રેરા રજીસ્ટ્રેશન દર્શાવવાનું ફરજીયાત છે.