અમદાવાદ : કાળઝાળ ગરમીને કારણે હાલ પરિસ્થિતિ એવી છે કે સૌ કોઈ ત્રસ્ત થઈ ગયા છે. ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે સિવિલ હોસ્પિટલે તમામ નોનએસી વોર્ડમાં એરકુલરની વ્યવસ્થા કરી છે. જેથી કરીને દર્દીઓને આ ગરમીથી રાહત મળી શકે અને તેમને આરામ મળે.
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જળવાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે અને ગંદુ પાણી ખાલી કરી સફાઈ કરવામાં આવે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં, પરંતુ તમામ દર્દીઓને સાનુકુળ અને આરામદાયક વાતાવરણ મળી રહે અને તેમની ગુણવત્તાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ.
મોટા ભાગે જે પણ દર્દીઓ સ્પેશિયલ રૂમ લેતા હોય છે અથવા તો એસી વોર્ડમાં રહેતા હોય છે. તેઓને વાંધો નથી આવતો પરંતુ જે પણ દર્દીઓ નોન એસી વોર્ડમાં હોય છે. તેવા દર્દીઓને વધારે તકલીફ રહેતી હોય છે. જોકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલે તમામ નોનએસી વોર્ડમાં એરકુલરની વ્યવસ્થા કરી છે. આ તમામ વોર્ડમાં કુલર્સને મોટા ભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારે ગરમીના કારણે પહેલાથી તકલીફમાં રહેલ દર્દીઓના સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર ન થાય તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.