અમદાવાદ : અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમારકામ 15 મે, 2025 સુધી ચાલશે. ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.
અડાલજથી મહેસાણા જવા માટે વાહન ચાલકોએ કલોલ અંબિકાથી કલોલ ગાયત્રી મંદિર થઈને પિયજ ગામના પાટિયા તરફ જવું પડશે. ત્યાંથી વામજ, મેડાઆદરજ, કડી અને નંદાસણ થઈને મહેસાણા પહોંચી શકાશે.
મહેસાણાથી અડાલજ તરફ જવા માટે નંદાસણથી રાજપુર પાટિયા થઈને ઝુલાસણ ગામ, પાનસર ગામ, વડાવસ્વામી, ઈસંડ અને ઓળા ચોકડી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાંથી જમણી બાજુ વળીને ઓળા-અમૃત હોટલ ચોકડી થઈને અડાલજ પહોંચી શકાશે.
મહેસાણાથી ગાંધીનગર જવા માટે બે વિકલ્પો છે. પ્રથમ રૂટમાં પાલાવાસણા ચોકડીથી રામપુરા ચોકડી થઈને ગોઝારિયા માર્ગે જઈ શકાશે. બીજા વિકલ્પમાં નંદાસણથી વડુ, પલિયડ, નારદીપુર અને રૂપાલ થઈને ગાંધીનગર પહોંચી શકાશે.
મહેસાણાથી અમદાવાદ જવા માટે નંદાસણ, કડી અને થોળ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જાહેર જનતાને આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.