અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક અકસ્માતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં બેકાબૂ કાર ડ્રાઇવરને કારણે મોટી જાનહાની સર્જાતા રહી ગઈ હતી. કારચાલકે રસ્તા પર ચાલતા ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. કાર ડ્રાઇવરે તેની કારને પાર્લરમાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે સકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ઘુમાવતા ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા. જે બાદ કાર નજીકના પાન પાર્લરમાં ઘૂસી હતી. આ ઘટનામાં એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ભાગીને બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો.
બીજી તરફ ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેમાં જે પણ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હતા ત્યાં સ્થળ પર તેમના પર પહેલા લોકોનું ધ્યાન ગયું અને તેમની મદદ માટે દોડીને તેઓ પહોંચ્યા હતા. ઘટનાને લઈને લોકોના જીવ અધ્ધર આવી ગયા હતા. સાથે જ કાર ડ્રાઇવરની સામે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસને જાણ કરતા તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતા કારમાલિકનું નામ ધનશ્યામભાઇ મોઢેરા હોવાનું સામે આવ્યું. તેણે તેમના મિત્ર પિયુષ રાઠોડને કાર આપી હતી. જ્યારે પિયુષે તેના સાળાના પુત્ર 20 વર્ષીય રાહુલ પરમારને કાર ચલાવવા આપી હતી. તે કાર લઇને જતો હતો અને અકસ્માત કર્યો હતો. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.