અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવામાં ઝડપી ઉમેરો કર્યો છે. મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આગામી 27મી એપ્રિલને રવિવારથી મેટ્રો મોટેરાથી સચિવાલય સુધી દોડતી થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાનો શુભારંભ રવિવાર તા. 27 એપ્રિલ, 2025 થી થશે.હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ આ નવા સ્ટેશનોને જોડશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે. આનાથી અમદાવાદ અને ગાંધીનગરના આ વિસ્તારો વચ્ચે સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ પરિવહનની દિશામાં એક આવકારદાયક પગલું છે. હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે.મેટ્રો સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ જ નહીં બનાવે પરંતુ પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થશે. હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બની છે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન સેવાને, આગામી દિવસોમાં અક્ષરધામથી લઈને મહાત્મા મંદિરને જોડી દેવાશે. આ નવા રૂટ અને સ્ટેશનો પર ટ્રેનના સમયપત્રક વિશે વિગતવાર માહિતી વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે.


