અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આતંકી હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. ત્યારે અમદાવાદમાં સોસાયટીઓ, સંગઠનો અને નાગરિકો દ્વારા ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ સહિત કેન્ડલ માર્ચના કાર્યક્રમ થઇ રહ્યા છે ત્યારે અમદાવાદના નારણપુરા-ઘાટલોડીયામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે બજરંગ દળ દ્વારા મૃતકોના ફોટા સાથે બેનર લગાવી તેના પર ફૂલહાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.નારણપુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જીતુ ભગત સહિત નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરો અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.લોકોને અપીલ કરવામાં આવી હતી કે, મુસ્લિમ સમાજના લોકોની દુકાનમાંથી કોઈએ ચીજ વસ્તુ ખરીદવી નહીં માત્ર હિન્દુની જ દુકાનમાંથી ચીજ વસ્તુ ખરીદવી.
શહેરના ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ, આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોકના દરેક વેપારી જોડાયા હતા અને જાહેર જનતા પણ જોડાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓએ હિન્દુઓને ધર્મ પૂછીને ટાર્ગેટ કરીને બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી.વેપારીઓને એવા સંદેશ આપ્યા છે કે, હિન્દુઓ પાસેથી ખરીદી કરો. તમારી આસપાસ કોઈ વિધર્મીની દુકાન આવે તો બજરંગ દળને જાણ કરો અને જાગવું પડશે.
અમદાવાદના રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજના યુવકો, આગેવાનો અને મહિલાઓ દ્વારા પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રધાંજલિ પણ અપાઈ હતી. રાજપૂત સમાજના સભ્યોએ કેન્ડલ પ્રગટાવી મૃતકોના આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી.રાજપૂત યુવકોએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજે મુગલો સામે હંમેશા મજબૂતાઈથી લડીને મુગલોને સબક શીખવાડ્યો હતો. તે જ રીતે ભારત પાકિસ્તાનને સબક શીખવે. રાજપૂત યુવકોને પાકિસ્તાન બોર્ડર પર મોકલવાની રજૂઆત પણ કરાઈ હતી.