અમદાવાદઃ ગુજરાતના પેન્શનર્સના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે છે. જેમાં વૃદ્ધ પેન્શનરોને શારીરિક અશક્તતાને પરિણામે અનેક મુશ્કેલીઓ પડે છે.
પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ કરી છે. પહેલા પોતાની હયાતીની ખરાઇ કરવા માટે પેન્શનર્સે પોતે બેંક સુધી જવું પડતું હતું. ત્યાં કલાકો સુધી લાઇનમા ઉભા રહીને પોતે હયાત છે તે માટેનું ફોર્મ ભરવા સહિતની સરકારી ભાજંગડમાં પડવું પડતું હતું. આ પ્રકારનાં અનેક વીડિયો પણ સમયાંતરે વાયરલ થતા રહેતા હતા. જેમાં વૃદ્ધોને ભારે હાલાકી પડતી હોવા છતા પણ બેંક ગયા સિવાય તેમનો છુટકો નહોતો.
જો કે ગુજરાતના પેન્શનરોએ હવે હયાતીની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડે નહી અને તેમના ઘરે બેઠા જ ખરાઇ થઇ જાય તે માટેની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. સૌથી મહત્વપુર્ણ બાબત છે કે, હયાતીની ખરાઇ ન માત્ર ઘરે બેઠા થઇ જશે પરંતુ તે નિ:શુલ્ક થશે. હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે. નાણામંત્રી કનુ દેસાઇની અધ્યક્ષતામાં આ સમગ્ર MOU થયા હતા. નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે MOU થયા છે. રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે.
આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે. હાલના હયાતીની ખરાઇના અન્ય વિકલ્પો રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્યના પેન્શનરો દ્વારા મળેલી રજૂઆતોબાદ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.. આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ 2018 માં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ઇન્ડિયા પોસ્ટ પેમ્ન્ટ બેંકની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી ત્યારે બેકિંગ સેવા આપ કે દ્વાર મુખ્ય વિઝન હતું. આ વિઝનના ભાગરૂપે જ ગુજરાત સરકાર દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કામ કરશે ?
પેન્શનર્સને ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ આપવામાં આવે છે. જેને હવે IPPB ની ટીમને સંપર્ક કરવાથી અથવા તેમની પોસ્ટ બેંકની ટીમ સામે ચાલીને દરેક પેન્શનર્સના ઘરે જશે. તેમની જોડે ઉપલબ્ધ મોબાઇલ લાઇફ સર્ટિફિકેટના સોફ્ટવેરમાં પી.પી.ઓ. નંબર, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ , મોબાઇલ નંબર જેવા મહત્વના ડેટા નાંખીને પેન્શનરની બાયોમેટ્રીક લેશે.
જેના પરિણામે ગણતરીની મીનિટમાં જ પેન્શરન્સના ડિજીટલી બાયોમેટ્રીક ઓથેન્ટિકેશનથી ડિજીટલ લાઇફ સર્ટીફિકેટ ઇસ્યુ થઇ જશે. જેની એક ડિજીટલ નકલ પેન્શન ઓફિસમાં પણ પહોંચી જશે., અન્ય રાજ્યમાં રહેતા અને મૂળ ગુજરાતના પેન્શનર્સને પણ આ સેવાનો લાભ મળશે.જેના માટે તેઓને નજીકના પોસ્ટ ઓફિસ કે પોસ્ટમેનને સંપર્ક કરવાનો રહેશે.


