અમદાવાદ : અમદાવાદીઓના ફરવા લાયક સ્થળોમાં પ્રખ્યાત એવા કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીડેવલોપમેન્ટ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ ખાતે બાલવાટિકામાં પ્રવેશવાની ફી નક્કી કરવામાં આવી છે. જેમાં નવા ભાવ મુજબ બાલવાટિકાના મુલાકાર્થીઓને 50 રૂપિયા એન્ટ્રી ફી આપવી પડશે. નવનિર્મિત બાલવાટિકા 21 જેટલી અલગ-અલગ એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વિવિધ આકર્ષણોનો ટિકિટ દર રૂ.60 થી 450 સુધી રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં કાંકરિયા ઝુ ખાતા હસ્તક આવેલી નવનિર્મિત બાલવાટિકા તૈયાર છે, ત્યારે એન્ટ્રી ફીમાં વધારો કરાયો છે. બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 22 કરોડના ખર્ચે બાલવાટિકાને કોન્ટ્રાક્ટર દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. બાલવાટિકામાં એન્ટ્રી ફી રૂ. 50 રાખવામાં આવી છે જેમાં કોઈન હાઉસ, કાચનું ઘર (AC), શુહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં.
સ્નો પાર્કની એન્ટ્રી ફી 450 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનિય છે કે શાળાઓ પૂર્ણ થવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ટૂંક સમયમાં કાંકરિયા ખાતે મુલાકાતીઓની ભીડમાં વધારો થનાર છે.નવનિર્મિત બાલવાટિકામાં ડાયનાસોર અને હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભૂલૈયા, ફલાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડસ, ગ્લાસ ટાવર સ્નો-પાર્ક, સહિતના નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે.પહેલા મહાનગરપાલિકાને વાર્ષિક 10 લાખની આવક થતી હતી. જ્યારે હવે નવનિર્મિત બાલવાટિકાની એન્ટ્રી ફી અને એક્ટિવિટી વધારી છે, ત્યારે તેમાંથી 40 લાખથી વધુ આવક થવાની AMCનો અંદાજ છે.
પહેલા આ જૂની બાલવાટિકાની ટિકિટ માત્ર 3 રૂપિયા હતી. ત્યારબાદ તેમાં રિનોવેશન બાદ નવી એક્ટિવિટીને કારણે ટિકિટ દર વધારાયો હોવાનું એએમસીના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું છે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ રિક્રિએશનના કારણે બાલવાટિકામાં 22 એક્ટિવિટીની મજા મુલાકાતીઓ માણી શકશે.