અમદાવાદ : ગુજરાતમાં આવતીકાલ 7 મે 2025ના રોજ યોજાનાર સિવિલ ડીફેન્સ મોક ડ્રીલના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને ડી.જી.પી. વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મોકડ્રીલ દરમિયાન સાયરનથી ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ એટલે કે સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. ઓલ ક્લીયર સિગ્નલ જે ટૂંકો અને એક ધારી સાયરન વાગશે જે ખતરો પસાર થઈ ગયો છે તેમ દર્શાવે છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આશરે 15 સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને ગ્રામ્યના વિવિધ જાહેર સ્થળોએ મોકડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સની ગાઇડલાઈન અનુસારના વિવિધ ઇન્સ્ટોલેશન્સમાંથી કેટલાંક ઇન્સ્ટોલેશન્સ પર્ફોર્મ કરવામાં આવશે.અમદાવાદ જિલ્લામાં પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ફાયર સ્ટેશન, પાવર સ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો, ભીડભાડવાળા વિસ્તારો, મંદિરો જેવાં સ્થળોએ સાયરન વગાડવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અંગે તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
સાંજે 7.30થી 8 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે. બ્લેકઆઉટ દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોની તમામ લાઇટ બંધ કરવી અથવા તેને ઢાંકી દેવી જરૂરી છે. વીજળીનો પ્રકાશ બહાર સહેજે પણ ના દેખાય તેની તકેદારી રાખવી, પ્રકાશનો લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
જિલ્લા વહીવટીતંત્રે લોકોને મોક ડ્રીલ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઘરો અને દુકાનોમાં સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી ઇન્વર્ટરનો ઉપયોગ કરીને લાઇટનો ઉપયોગ ન કરવો જોઈએ. તે જ સમયે, જો તમે કાર દ્વારા રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો, તો તમારા વાહનને બાજુમાં રોકો અને તેની લાઇટ પણ બંધ કરો.
મોક ડ્રીલ દરમિયાન હોસ્પિટલોને લાઈટ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. હોસ્પિટલોમાં વીજળી કાપ દરમિયાન બેકઅપ અથવા ઇન્વર્ટરનો ઉપયોગ કરી શકાય છે. તેમણે લોકોને ગભરાવાની નહીં તેવી અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘આ ફક્ત એક રિહર્સલ છે. આ દ્વારા, કટોકટીની પરિસ્થિતિઓ ટાળવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.’
રાજ્યના જે જિલ્લાઓમાં આ મોકડ્રીલ થવાની છે તેમાં, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબી એમ કુલ-18 જિલ્લામાં મોકડ્રીલ થશે.