અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર નારણપુરામાં આવેલ પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે, સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કર્યું છે.
આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, ‘આજે હું તમારા પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી અને મેયરનો આભાર માનવા આવ્યો છું. ત્રણ લોકસભા વિસ્તારમાં 1600 કરોડનું વિકાસ કાર્યો થયા છે. જેનું એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઈ ગયો છું, જેનાથી 1.5 લાખ વાહનો સિગ્નલ ટ્રાફિક વિના નીકળી શકશે’…ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1593 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
તેઓએ વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાનના 9 સ્થળો પર આતંકવાદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા છે. દેશની મહિલાઓની માથા પરથી સિંદૂર દૂર કરવાવાળા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે. 100 કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.
અગાઉ આજે 18 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સૌથી પહેલાં તેમણે સોલા સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસીત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓ મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાદરા અને ગોજારીયા ખાતે કે.કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાણંદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.


