મદાવાદ : મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આજથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થયું છે. આજથી ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0) શરૂ થયો છે. નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બીજા તબક્કામાં ચંડોળા તળાવ પર છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સૂર્યનગર પોલીસ ચોકીથી શાહઆલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સવારે 11.30 વાગ્યા સુધીમાં 45 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કાટમાળ હટાવી ત્યાં દિવાલ બનાવાશે તથા 2 દિવસમાં જ સંપૂર્ણ ડિમોલિશન કામગીરી પૂર્ણ કરાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયા જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે.
ચંડોળા તળાવ પર બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી શરૂ કરાઇ છે. ડિમોલેશન મામલે JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે ફેઝ 1માં બાંગ્લાદેશી અને કુખ્યાત લોકોને ટાર્ગેટ કરી ડિમોલેશન કરાયું હતું. પાર્ટ 2માં તળાવ પર રહેલા ગેરકાયદે મકાનો તોડવામાં આવી રહ્યા છે. લલ્લા બિહારીથી લઈ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણ દૂર કરાયા છે.2.50 લાખ ચોરસ મીટર તળાવની આસપાસની જગ્યા ખાલી કરવામાં આવશે. 4 દિવસમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું.
છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં આવે છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.


