અમદાવાદ : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છેરથયાત્રા વર્ષોથી પરંપરાગત રૂટ ઉપર યોજાય છે ત્યારે મેટ્રો રેલ દ્વારા કાલુપુર પાસે કામ ચાલતું હોવાથી રૂટમાં સામાન્ય ફેરફાર કરવા મેટ્રો રેલ દ્વારા મંદિરને સૂચન કરવામાં આવ્યું હતું. જો કે, રુટમાં ફેરફાર કરવા બાબતનો મંદિર દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો અને રથયાત્રા પરંપરાગત રૂટ પર જ યોજાશે તેવું જણાવવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદમાં રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મુદ્દે ચાલી રહેલો ગજગ્રાહ આખરે સમાપ્ત થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જગન્નાથ મંદિર ટ્રસ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે રૂટમાં ફેરફાર કરવા અંગે ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે કે, રથયાત્રા તેના પરંપરાગત રૂટ પરથી જ પસાર થશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.અગાઉ, મેટ્રોના કામને કારણે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા માટે મંદિર ટ્રસ્ટને રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે વિવિધ પક્ષો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, હવે આ વિવાદનો અંત આવતા ભક્તો અને નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રૂટ બદલવા માટે સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી છે.
જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કાલુપુર મેટ્રો રેલની કામગીરી રથયાત્રા પહેલા ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનો મુખ્ય હેતુ એ છે કે, મેટ્રોની કામગીરીને કારણે રથયાત્રામાં કોઈ અવરોધ ઊભો ન થાય અને દર્શનાર્થીઓ કે નગરજનોને કોઈ તકલીફ ન પડે.ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રૂટમાં ફેરફાર અંગેના વિવાદનો અંત આવતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી હતી.


