અમદાવાદ : શહેરના રાણીપમાં બકરામંડી પાસે નશામાં ધૂત કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ મુજબ, જેમાંથી એક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારી પણ હતા. તેમની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે 6 જુનના રોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે આરોપી યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ અકસ્માત મોતની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના રાણીપ વિસ્તારમાં 31 મેના મોડી રાતે પૂરઝડપે વેગનઆરના ચાલક અને માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીએ 3-4 વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી.જેમાં કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેગન-આરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. નંબર પ્લેટ વગરની ગાડીથી નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાથી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપતો હતો.
અકસ્માતની ઘટનાની બાદમાં પીસીઆર વાનમાં તેને રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યાં પીએસઓ સહિત ચાર પોલીસકર્મીઓ સામે સારવારનું બહાનું કાઢીને તે ભાગી ગયો હતો. આ અંગે પણ ઝોન-2 ડીસીપીએ એલ ડિવિઝન એસીપીને પોલીસકર્મીઓ અંગે તપાસ સોંપી હતી. જ્યારે રાણીપ પોલીસે તેને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.
રાણીપમાં રહેતા 60 વર્ષીય કાનજીભાઇ પરમાર નિવૃત જીવન ગુજારે છે. ગત 31 મેએ રાત્રિના સમયે કાનજીભાઇ બાઇક લઇને જગતપુરથી ઘરે જતા હતા. ત્યારે રાણીપ બકરામંડી પાસે પહોંચ્યા તે સમયે કારચાલકે પૂરઝડપે આવીને એક્ટિવાચાલક 37 વર્ષીય સંજયભાઇ અંસારીને અડફેટે લીધો હતો. ત્યારબાદ રોડ પર પડેલી લારીને ટક્કર મારી હતી. ત્યારબાદ કાનજીભાઇના બાઇકને ટક્કર મારી હતી. રોડ પર ઉભેલા 50 વર્ષીય મુમતાઝબેન શેખને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં કાનજીભાઇ અને સંજયભાઇને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સંજયભાઇનું હાલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.


