અમદાવાદ : ગુરુવારે બપોરે અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઇ હતી. વિમાન બીજે મેડીકલ કોલેજની અતુલ્ય હોસ્ટેલ પર ક્રેશ થયું, હતું આ હોસ્ટેલમાં ઇન્ટર્ન ડોક્ટર્સ રહેતા હતાં. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 105 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા.વિમાન દુર્ઘટના પછી આ ફ્લાઇટમાં મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાન (ફ્લાઇટ નંબર AI 171) માં યાદી પ્રમાણે કુલ 230 મુસાફરો સવાર હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટમાં મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કરતા X પર લખ્યું, “અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સૌને આઘાત પહોંચાડ્યો છે અને દુઃખમાં ગરકાવ કરી દીધા છે. આ ઘટના શબ્દોમાં ન વર્ણવી શકાય એવી હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના દુર્ઘટના પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા પ્રધાનો અને અધિકારીઓના સંપર્કમાં છું.”
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અકસ્માત અંગે ફોન પર વાત કરી છે. રાહત અને બચાવ માટે ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ (NDRF) ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. અમદાવાદની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે.