અમદાવાદ : અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી વરદાન સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-171માં લંડન પરત ફરવાનાં હતાં. પરંતુ અંકલેશ્વરથી પરત ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતના ભરૂચના રહેવાસી ભૂમિ ચૌહાણ લંડનમાં રહેતા પોતાના પતિ પાસે જઇ રહી હતી. ભૂમિએ જણાવ્યું હતું કે ગુરૂવારે સવારે તે અમદાવાદ એરપોર્ટ જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે અટવાઇ જતાં અમે ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા જેથી મને અંદર જવા ન દીધી, અને હું નિરાશા સાથે પાછી ફરી.આમ માત્ર 10 મિનિટના વિલંબને કારણે તેણી આ ફ્લાઇટ ચૂકી ગઈ અને આ વિલંબ તેના જીવનનું સૌથી મોટું ‘વરદાન’ બની ગયું હતું.અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.
ભૂમિ ચૌહાણે મીડિયા સમક્ષ આપવિતિ વર્ણવતાં કહ્યું કે જ્યારે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણપણે સુન્ન થઈ ગઈ હતી. ‘મારું શરીર ધ્રુજી રહ્યું હતું… ત્યારે મને કોઇ શબ્દો મળી રહ્યા ન હતા. હું મારી મા દુર્ગાનો આભાર માનું છું કે હું સુરક્ષિત છું, પણ આ ઘટના ખરેખર ભયાવહ છે. પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી હતી.
ભૂમિ ચૌહાણના માતાએ જણાવ્યું હતું કે અમે માતાજીનો આભાર માનીએ છીએ કે તેમણે મારી દીકરીનું રક્ષણ કર્યું. તે પોતાનું બાળક મારી પાસે મૂકીને ગઈ હતી, અને આ બધું માતાજીના આશીર્વાદને કારણે જ છે. એ બાળકના કારણે જ તે આજે મારી સાથે છે.