અમદાવાદ : અમદાવાદ વિમાન દુર્ઘટનાની દુઃખદ ઘટના સમયે પણ કેટલાક લેભાગુ તત્વો છેતરપિંડી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોને ફોન કરી સરકારમાંથી બોલતા હોવાનું લેભાગુ તત્વો કહે છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો તેમના પરિવારજનના અવશેષો ઓળખાય અને તેમના મૃતદેહ મળે તેની રાહત જોઈ રહ્યા છે, ત્યારે આવા લેભાગુ તત્વો પરિવારજનોને ફોન કરીને પૈસા પડાવે છે. ત્યારે સિવિલ હૉસ્પિટલ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, નિયત કરેલા નંબર સિવાય કોઈપણ નંબર પરથી ફોન આવે તો તેની જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે. મૃતદેહ સોંપવા માટે કોઈ પણ પ્રકારના નાણાં તંત્ર લેતું નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારે પરિજનોને વિનંતી કરી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875 થકી જ પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
આ સિવાયના કોઇ નંબર પરથી ફોન કોલ આવે તો તેની સાથે કોઇ વ્યવહાર ન કરવા જણાવવામાં આવ્યું છે. મૃતકોના શબ કે અવશેષો સોંપતી વખતે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર, અકસ્માત મૃત્યુ કેસ રિપોર્ટ, પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ નોટ, DNA મેચિંગ અંગેનો FSL રિપોર્ટ, શરીર પર મળેલા કોઈપણ ઘરેણાં અથવા વસ્તુઓ પણ સોંપવામાં આવી રહી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 42 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ૩૨ના પરિવારના સંપર્ક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. જેમાં અમદાવાદના ૪, વડોદરાના ૨ , ખેડા ૧, અરવલ્લી ૧ બોટાદના ૧, મહેસાણા ૪, ઉદયપુર ૧ નો સમાવેશ થાય છે.
આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે બપોરે ૧૨.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. જે મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.


