અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને 4 દિવસ થઇ ગયા છે. પ્લેન ક્રેશની ઘટનામાં બ્લાસ્ટ બાદ મૃતકોની સ્થિતિ એટલી ભયાવહ હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ હતી. ઘણા શરીરનો બળીને કોલસા જેવા થઇ ગયા હતા. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. DNA સેમ્પલ મેચ થતા હવે પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીર કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગમાં જણાવાયું હતું કે આગામી બે કલાકમાં અન્ય 8 નશ્વર દેહને તેમના પરિજનોને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13 મૃતકોના પરિવારજનો હાજર છે, આ પરિવારજનોને પાર્થિવ દેહ સન્માનભેર સોંપવામાં આવશે. વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.
16 જૂનના રોજ સવારે 9.30 કલાક સુધીમાં કુલ 47 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાના પરિવારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવારની મદદ માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.


