અમદાવાદ : 27મી જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રાનો ઉત્સાહ વધુ ખાસ બની રહ્યો છે. કારણ કે આ વર્ષે ભગવાનના મામેરાના દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે.ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના મોસાળમાં મામેરાના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.
ચાલુ વર્ષે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાનાં દર્શન કરી શકે એ માટે 22 જૂનના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થાય એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી જણાવ્યું હતું કે દર વર્ષે મામેરાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લોકો આખા દિવસમાં મામેરાનાં દર્શન કરી શકશે. સરસપુર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ચાલુ વર્ષે મંદિરનો ભાગ મોટો પણ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો રથયાત્રા દરમિયાન દર્શન કરી શકશે. આ ફેરફારથી ભક્તોને દર્શન માટે વધુ સમય મળશે અને ભીડનું સંચાલન પણ સરળ બનશે.
વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સરસપુર મોસાળ તરફથી ભાણેજ એવા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ભાવથી મામેરું કરવામાં આવતું હોય છે. મામેરામાં ભગવાનને આપવામાં આવતા વાઘા, દાગીના સહિતની ચીજવસ્તુઓ સાથે મામેરાનાં દર્શન 22 જૂનના રોજ સરસપુર રણછોડરાય મંદિર ખાતે થશે. ભગવાનને મામેરામાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ લોકોનાં દર્શન માટે મૂકવામાં આવે છે. દર વર્ષે સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થતાં હોય છે.
આ ઉપરાંત રથયાત્રાના રૂટ પરની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. જર્જરિત મકાનો હટાવવામાં આવ્યા છે, રસ્તાઓને રી-સરફેસ કરવામાં આવ્યા છે અને રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ બધું ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્ય અને યાદગાર બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. હરિભક્તો આ પવિત્ર ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


