અમદાવાદ : આજે (21 જૂન) વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા હતા. આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે.ગુજરાત રાજ્યમાં પણ આ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ ભવ્ય રીતે કરવામાં આવી છે. રાજ્ય સરકારે વડનગર ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે અમિત શાહની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મિશન ફોર મિલિયન ટ્રી (FMT) અંતર્ગત આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે. અહીં મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત AMC દ્વારા વિનામૂલ્ય રોપા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ તેમજ ભાજપના અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.
આ વર્ષની યોગ દિવસની થીમ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” રાખવામાં આવી હતી. આ થીમ હેઠળ મેદસ્વિતા મુક્ત અભિયાનના પોસ્ટરો રાજ્યભરમાં જોવા મળ્યા હતા. યોગ, ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારીની પરંપરા તરીકે ઓળખાય છે. 2014માં યુનાઇટેડ નેશન્સના 177 દેશોના સમર્થનથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને 2015થી વિશ્વભરમાં આ દિવસ ઉજવાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશાખાપટ્ટનમથી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી હતી. તેમણે સામૂહિક યોગ સત્રમાં ભાગ લઈ, દેશવાસીઓને યોગ દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. મોદીએ યોગને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અગત્યનું ગણાવ્યું અને લોકોને તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી.