અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રેશ થયા બાદ AI 171નો કાટમાળ આજે લઇ જવામાં આવી રહ્યો હતો. DGCA ની ટીમ દ્વારા પ્લેન ક્રેશ થઈને જ્યાં પડ્યું હતુ ત્યાંથી ઘટનાસ્થળેથી વિમાનનો કાટમાળ એરપોર્ટ લઇ જવામાં આવી રહ્યો હતો. વિમાનના તૂટેલા ભાગોને ટ્રકમાં મુકીને લઈ જવામાં આવતા હતા તે દરમિયાન ઝાડ સાથે અથડાતા ટ્રક અટકી ગઈ હતી.જોકે અકસ્માતને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો ઠપ થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં થયેલા AI171 પ્લેન ક્રેશના કાટમાળને હટાવવાની કામગીરી દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પ્લેનના ટેલ ભાગને લઈ જતી ટ્રક શાહીબાગ ડફનાળા નજીક ACB કચેરી સામેના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ટેલને ઝાડમાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના માટે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જોકે, પોલીસે અને ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું 787 વિમાન ઉડાન ભરતાની સાથે જ બે મિનિટમાં જ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત 270 થી વધુ લોકો મૃત્યુ પામી ગયા હતા. જેમાં ફક્ત એક જ મુસાફરનો જીવ બચી શક્યો હતો. આ ભયાનક વિમાન દુર્ઘટનાના પડઘા સમગ્ર જગતમાં પડ્યા હતા.