અમદાવાદ: રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ પરત ફર્યા છે. જળયાત્રા બાદ આજે નિજ મંદિરમાં પ્રભુના પ્રથમ દર્શન થયા છે. જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાઈ છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલા ત્રણેય ભાઈ-બહેનને આંખ આવતાં તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં સમિતિના ટ્રસ્ટી ઉપરાંત સંતો-મહંતોએ હાજરી આપી હતી.
અમદાવાદમાં રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ વધારે પ્રમાણમાં આરોગે છે. જેના કારણે તેમની આંખો આવી જાય છે. અમાસને દિવસે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે છે. તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તો માટે પ્રસાદની પણ તૈયારીઓ ચાલી રહી છે. પ્રભુ જગન્નાથના ધામમાં ભક્તોને કાળી રોટી-ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલે છે. જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાજીએ કાળી રોટી ધોળી દાળનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. જેની પાછળનો મુખ્ય હેતુ હતો. ભક્તોને સાત્વિક ભોજન કરાવવાનો.
અમદાવાદમાં હવેથી ઠીક બે દિવસમાં 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાની તૈયારીઓ હાલ તો અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતે ચાલી રહી છે. રથયાત્રા શહેરમાં ધામધૂમથી ઉજવાય તે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.