અમદાવાદ : એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો છે. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 15 દિવસનું ભાડું ચુકવી 30 દિવસની મુસાફરી અને 45 દિવસનું ભાડું ચુકવી 90 દિવસ મુસાફરી કરી શકાતી હતી. પરંતુ હવે નવા ફેરફાર મુજબ 30 દિવસ મુસાફરી માટે 18 દિવસનું ભાડું અને 60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું વસુલ કરાશે. એસ ટી દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

પરિપત્ર મુજબ, નિગમની લોકલ,એકસપ્રેસ,ગુર્જરનગરી,લકઝરી,શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતા મુસાફરોને પ્રવર્તમાન બસ ભાડામાં રાહત આપી રાહતદરના માસિક / ત્રિમાસિક પાસ આપવાની સુવિધા સંદર્ભિત સામાન્ય સ્થાયી હુકમો તેમજ પરિપત્રોથી “15 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો” તથા “45 દિવસનું ભાડું વસુલ કરી, 90 દિવસની મુસાફરી કરો” યોજના અંગેની સુચનાઓ અમલમાં છે. જે યોજના અમલ થયા બાદ તેની સમીક્ષા કરતા નિગમની બસોમાં હાલમાં વધી રહેલ લોડ ફેક્ટરને તેમજ સદર યોજના નિગમની સ્વયોજના હોઈ આ બાબતે વધતા જતા સંચાલકીય ખર્ચને ધ્યાને લઇ ચાલુ યોજનામાં મુસાફર જનતાનું હિત પણ જળવાઈ રહે તે અનુસાર યોજનામાં આંશિક સુધારો કરવા નિગમના સંચાલક મંડળની તા.06/06/2025 ની બેઠકમાં થયેલ ઠરાવ નં.10150 થી થયેલ સુધારા મુજબ 18 દિવસનું ભાડું વસુલ કરી, 30 દિવસની મુસાફરી કરો તથા 36 દિવસનું ભાડું વસુલ કરી, 60 દિવસની મુસાફરી કરો યોજના અમલમાં મુકવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એસ.ટી. મુસાફરી પાસ એ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પૂરી પાડવામાં આવતી એક સુવિધા છે, જે નિયમિત મુસાફરોને રાહતદરે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ પાસ વિદ્યાર્થીઓ, દૈનિક પ્રવાસીઓ, સિનિયર સિટિઝન્સ, અને અન્ય ચોક્કસ શ્રેણીના લોકો માટે ઉપલબ્ધ હોય છે.
એસ.ટી. પાસના ઘણા ફાયદા છે, જેમ કે નિયમિત મુસાફરી કરતા લોકો માટે ટિકિટના દૈનિક ખર્ચ કરતાં પાસ વધુ આર્થિક સાબિત થાય છે. તેમજદરરોજ ટિકિટ ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.


