અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષ સાંભળવા મળ્યો હતો.ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે આ 148મી રથયાત્રા આ વખતે ખાસ બની છે, કારણ કે રથયાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક ઘટનાઓ બની છે.
અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાએ આ વખતે ઇતિહાસ રચ્યો છે. ભગવાન જગન્નાથને પહેલી વાર ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું, જે અત્યાર સુધી ફક્ત ઓડિશાના પુરીમાં જ જોવા મળતું હતું. આ ક્ષણ ભક્તો માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક હતી.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ AIનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AIથી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
રથયાત્રાના પાવન દિવસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને નવી પદવી આપવામાં આવી છે. હવે તેઓ “જગદગુરુ રામનંદી દિલીપ દેવાચાર્ય” તરીકે ઓળખાશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 148મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દર વખતે રથયાત્રા સવારે સાત વાગે પ્રસ્થાન થાય છે. પરંતુ આ વખતે રથયાત્રા 10 મિનિટ વહેલી શરૂ થઈ હતી.


