અમદાવાદ : અમદાવાદ શાહીબાગમાં આવેલા શિલાલેખ ચાર રસ્તા પાસે થોડા દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારચાલકે પુરઝડપે ટર્ન લેતા બાઇકચાલકને ટક્કર મારી હતી.અકસ્માતમાં બાઇકચાલક રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરનાર કારચાલક રિવરફ્રન્ટ તરફ નાસી ગયો હતો.બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 19 જૂનના રોજ દેવેન્દ્રભાઇ સંખવાર બાઇક લઇને કમિશનર કચેરી તરફથી સુભાષબ્રિજ તરફથી થઇને ઘરે જતા હતા. દેવેન્દ્રભાઇ શિલાલેખ ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલી કારના ચાલકે અચાનક ડાબી બાજુ પૂર ઝડપે ટર્ન લીધો હતો જેના કારણે દેવેન્દ્રભાઇ બાઇક સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત કરીને કારચાલક રિવરફ્રન્ટ તરફ ભાગી ગયો હતો.
ચોકાવનારી વાત એ છે કે આ હિટ એન્ડ રનનો આરોપી કાર ચાલક પોતે પોલીસ કોન્સ્ટેબલ હતો. આરોપીનું નામ દિગ્વિજયસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે, જે હાલ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.ઘટના પછી એલ ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દિગ્વિજયસિંહ ગોહિલની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ અમદાવાદ શહેરમાં સુરક્ષા અને જવાબદારીના મુદ્દે ફરીથી સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે સુરક્ષા આપનારા જ નિયમોનો ભંગ કરે છે.


