અમદાવાદ : પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ કેવી રીતે મળે તે વિષે ચિંતન અને મંથન થયું હતું. જેમાં ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા શ્રાવણ મહિનામાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે રાણીપ, અમદાવાદથી રોજિંદી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવશે, જે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો એક ઉત્તમ પ્રયાસ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી શ્રાવણમાં દરરોજ અમદાવાદ (રાણીપ ડેપો) થી એક વોલ્વો બસ સોમનાથના દર્શને ઉપડશે. જેમાં બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની આ ટ્રીપ-પેકેજ અંતર્ગત રોજ સવારે 6-00 કલાકે રાણીપથી બસ ઉપડીને સાંજે 4-00 કલાકે સોમનાથ પહોંચશે. આ બસ બીજા દિવસે સોમનાથથી સવારે 9-30 કલાકે નીકળીને રાત્રે 10-30 કલાકે રાણીપ અમદાવાદ ખાતે પરત આવનાર હોવાનું ગુજરાત પ્રવાસન વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
યાત્રી દીઠ જવા-આવવાની ટિકિટ 4,000 રૂપિયા રખાઈ છે. જ્યારે બે વ્યક્તિ માટે જવા-આવવાનું ભાડુ 7,050 રૂપિયા નક્કી કરાયું છે. જેમાં નાસ્તો, બે ટાઇમ ભોજન, હોટેલમાં રાત્રિ રોકાણ અને ગાઇડની સુવિધા આપવામાં આવશે. આ પેકેજમાં સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ રામ મંદિર અને ગીતા મંદિરનો સમાવેશ થાય છે.


