અમદાવાદ : આણંદના ગંભીરાની ઘટના પછી સરકાર હરકતમાં આવી છે, હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે હવે સરકારના કાન આમળી રહી છે. જો કે વિપક્ષ કરે એ તો ઠીક છે, પરંતુ સરકાર કે તંત્રે રચેલ સમિતી જયારે જણાવે કે બ્રિજની હાલત ખરાબ છે અને છતા તે વાહનવ્યવહાર માટે પૂર્વવત રહે તો તે ગંભીર ગુનાની બરાબર હોવાનું લોકોનું કહેવું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રહેતા હજારો શહેરીજનો જે બ્રિજ પરથી રોજબરોજ પસાર થાય છે એ બ્રિજની હાલત જર્જરીત હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટી જણાવી રહી છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ સોંપેલા રિપોર્ટમાં અમદાવાદના 5 બ્રિજની હાલત જર્જરિત અને ખસ્તા હોવાનુ જણાવ્યું છે. આમ છતા આ બ્રિજ પરથી રોજેરોજ વાહનનો ધમધમાટ યથાવત રહેવા પામ્યો છે.બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ સોંપેલા ચોંકાવનારા રિપોર્ટમાં અમદાવાદમાં 5 બ્રિજ જોખમી હાલતમાં ગણાવ્યા છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ, તેમના રિપોર્ટમાં 5 બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.
જેમાં અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ પુઅર અને ક્રિટિકલ હાલત હોવાનું, તેમજ કેટલીક જગ્યા પર ખૂબ જ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરાયો છે. સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ પુઅર કન્ડિશનમાં હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ જણાવ્યું છે. મહાત્મા ગાંધી જૂના બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચરની હાલત પણ ખરાબ છે. તો શહેરના પૂર્વમાં રેલવે ટ્રેક ઉપર બનેલ કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે.