અમદાવાદ : પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં લોકો દર્શન કરવા માટે જતા હોય છે. અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર પવિત્ર શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે જતા હોય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની ધાર્મિક બસ પ્રવાસ યોજનાની ટિકિટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે પ્રવાસીઓ શ્રાવણ માસ દરમિયાન અમદાવાદ તથા આસપાસના શિવમંદિરોમાં દર્શનાર્થે સરળતાથી જઈ શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે લોકો શહેરમાં આવેલા વિવિધ દેવી-દેવતાઓના દર્શન માટે જતા હોય છે. ત્યારે લોકો એકસાથે ગ્રુપમાં દર્શન કરવા માટે જતા હોય છે, જેથી AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના મૂકવામાં આવી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરો નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો નક્કી કરેલા મંદિરોમાંથી પણ પોતાના પસંદગીના મંદિરોમાં દર્શન માટે જઈ શકશે. નાગરિકો માટે રૂટીન બસ સુવિધામાં કોઈ તકલીફ ન પડે તેના માટે અલગથી 80 બસ શ્રાવણ મહિના માટે ફાળવવામાં આવી છે. રોજની 80 જેટલી બસો આ યોજના માટે દોડાવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના મુજબ, શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે. જેના માટે લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે.અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પાસે ખૂબ વાહનોનો ઘસારો અને પાર્કિંગની સમસ્યાને લઈને ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી. આખા દિવસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસમાં 8 થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ. 5000 ચૂકવવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોચની નકલ પણ જમા કરાવવાની રહેશે. આ બસો લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસથી મળી શકશે. સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં બેસવાની કેપેસિટી 30 લોકોની છે, પરંતુ વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે.