ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને ત્વરિત બચાવ કાર્યવાહી કરી હતી. તેમણે કોઈ પણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો હતો.આ પ્રશંસનીય કાર્ય બદલ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. વિષ્ણુભાઈ નારણભાઈ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં નભોઈ કેનાલ પાસે ફરજ પર હતા. ત્યારે બપોરે લગભગ દોઢ વાગ્યાના અરસામાં તેમણે કેનાલમાં પ્રેમી પંખીડાને મોતની છલાંગ લગાવતા જોયા હતા.પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, તેમણે તાત્કાલિક કેનાલમાં કૂદીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, આસપાસના લોકો પણ મદદ માટે એકઠા થયા અને સંયુક્ત પ્રયાસોથી બંનેને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા.
જીવ બચાવ્યા બાદ, બંને યુવક-યુવતીને ગાંધીનગર જિલ્લાના ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. એ.એસ.આઈ વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ કામગીરીએ પોલીસ દળની માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


