અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગઈકાલે નિકોલની એક રેસ્ટોરન્ટમાંથી સાંભરમાંથી વંદો નીકળ્યા બાદ આજે મણીનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન સામે આવેલા પ્રિન્સ ઇસનપુર વાલા ભાજીપાવ નામની રેસ્ટોરન્ટમાં ભાજીપાવ ખાવા ગયેલા ગ્રાહકના પાવમાંથી મચ્છર જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક ગ્રાહકે મણિનગરની પ્રિન્સ રેસ્ટોરન્ટમાંથી પાઉંભાજીનો ઓર્ડર આપ્યો હતો, પણ ભાજીપાઉં પીરસ્યા બાદ તેને આરોગવા જતા તેને પાઉંમાં મચ્છર અને જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી હતી, પણ મેનેજરે આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેથી તેઓએ તાત્કાલિક હાજર સ્ટાફને બોલાવ્યા હતા અને બતાવ્યું હતું. પરંતુ તેઓ દ્વારા યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો નહોતો. મચ્છર – જીવાત નીકળવાની આ ઘટના બનતાની સાથે જ આ અંગે ફોટો વીડિયો ગ્રાહક દ્વારા લઈ લેવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને આ બાબતે જાણ થઈ હતી. જેથી પ્રિન્સ ઇસનપુરવાલા રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ધોરણે તેઓ દ્વારા ટીમ મોકલી તપાસ કરાવવામાં આવી છે. રેસ્ટોરન્ટના કિચનમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.


