અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી છે.આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો છે. આ ઘટનાએ શાળાની સલામતી અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, DEOએ સેવન્થ ડે સ્કૂલને ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવાની ચેતવણી આપી છે.સ્કૂલે આ ઘટના અંગે શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપી નથી, જેને DEOએ બેદરકારી ગણાવી છે. ઉપરાંત, સ્કૂલે ઘટના પછી પણ કોઈ અહેવાલ રજૂ ન કર્યો, જેના કારણે તેની માન્યતા રદ ન કરવા અંગે સ્પષ્ટ જવાબ માગવામાં આવ્યો છે.
notice-issued-to-seventh-day-school-in-student-murder-case-2
DEOની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે કોઈ પગલા લેવાયા ન હતા. વિદ્યાર્થી લોહીથી લથબથ હાલતમાં શાળાના પરિસરમાં પડ્યો હતો, પરંતુ સ્કૂલ વહીવટે એમ્બ્યુલન્સ બોલાવી ન હતી કે ન તો તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો.આ ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ પણ ઝઘડાની ઘટનાઓ બની હોવા છતાં, સ્કૂલે આ અંગે શિક્ષણ વિભાગને જાણકારી આપી ન હતી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની તાજેતરની નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે જો શાળા ત્રણ દિવસમાં યોગ્ય જવાબ નહીં આપે તો એવું માનવામાં આવશે કે શાળા આ મામલે કંઈ કહેવા માંગતી નથી. આવી સ્થિતિમાં, વિભાગ એકપક્ષીય કાર્યવાહી કરી શકે છે અને શાળાની માન્યતા અને અન્ય પરવાનગીઓ રદ કરી શકે છે.
આ ઘટના માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની શાળાઓની શિક્ષણ વ્યવસ્થા અને સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. હવે બધાની નજર શાળા પ્રશાસનના પ્રતિભાવ અને જિલ્લા શિક્ષણ વિભાગના આગળના પગલા પર છે.


