અમદાવાદ : અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ધરોઈ ડેમનું પાણ સંત સરોવરમાં આવ્યું છે, અને સંત સરોવરનું પાણી સાબરમતી નદીમાં આવ્યું છે. આ કારણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીનું લેવલ સંપૂર્ણ ઘટાડી દેવાયું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ સુભાષબ્રિજ થી ઈન્દિરા બ્રિજ તરફનો રિવરફ્રન્ટ નદીમાં ગરકાવ થયો છે. રિવરફ્રન્ટનો પશ્ચિમ તરફનો લોઅર પ્રોમીનાડ ડૂબ્યો છે. તકેદારીના ભાગરૂપે પોલીસ અને રિવરફ્રન્ટ સુરક્ષાકર્મીઓ દ્વારા જમાલપુર પશ્ચિમ રિવરફ્રન્ટ વોક વે પરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રિવરફ્રન્ટ પર જમાલપુરની સરખામણીએ સુભાષબ્રિજ નજીક સ્થિતિ ગંભીર જોવા મળી છે. નદીના ધસમસતા પાણી રિવરફ્રન્ટના વોક વે પર ફરી વળ્યાં છે. હાલ સ્થિતિ એવી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવાયેલા પાળાની ઉપરથી પાણી વહી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેટલીક મશીનરી પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. સુભાષબ્રિજ રેલવે ટ્રેક નીચે ભયાવહ નજારો જોવા મળ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર ફેઝ 3ની કામગીરી શાહીબાગ ડફનાળાથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી ચાલી રહી છે. ત્યારે રિવરફ્રન્ટ ફેઝ 3ની કામગીરીને પણ અસર પહોંચી છે. તમામ ભાગમાં પાણી ફરી વળ્યા છે. ઇન્દિરા બ્રિજથી લઈ શાહીબાગ સુધી અત્યારે હાલ જ્યાં કામગીરી ચાલી રહી છે તે તમામ જગ્યા ઉપર પાણી ફરી વળ્યા છે. બુલેટ ટ્રેનની કામગીરીને પણ અસર પહોંચી છે.
ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ગાંધીનગરના સંતસરોવરમાં પાણીની આવક વધી છે. સંત સરોવરમાથી હાલ સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે સાબરમતી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. નદીમાં અત્યાર સુધી 60000 ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ છે.


